ભરશિયાળે વરસાદી માહોલ : ડેડિયાપાડામાં ૨.૮૭ ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂત ચિંતાતુર બન્યા છે. ઠંડીના ચમકારા વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા ૧૧મી જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતો માટે પડ્યા ઉપર પાટૂ જેવી સ્થિતિ ઉદ્દભવી રહી છે.

જણાવી દઈએ કે, દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રથી ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ તેમજ ત્યાંથી પૂર્વમધ્ય અરેબિયન સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સક્ર્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોશમી વરસાદે ચિંતામાં વધારો કર્યો છે.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં સૌથી વધુ ૨.૮૭ ઈંચ, સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧.૨૯ ઈંચ કમોસમી વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૧૫ તાલુકાઓમાં હળવા માવઠા પડ્યા છે.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આશરે ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના પગલે આ વિસ્તારના ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે. આ ઉપરાંત સુરતના ઉમરપાડામાં દોઢ ઈંચ અને નર્મદાના ગુરૂડેશ્વરમાં પોણો ઈંચ કમોસમી વરસાદ નોધાયો હતો.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૪૮ કલાક સુધી કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેને લઇને રાજકોટના વાતાવરણમાં પલટો તેમજ  જિલ્લાના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૪૮ કલાક સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

રાજ્યના ખેડૂતો પરથી હજુ પણ માવઠાનું સંકટ ટળ્યું નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદ ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે. આ આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.