હવા પ્રદૂષણથી મોતની બાબતમાં દસ રાજ્યોમાં ગુજરાત 8માં ક્રમે

દેશભરમાં વાયુ પ્રદૂષણને પગલે જ્યાં એકબાજુ દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ગંભીર બનતી જાય છે. તો ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણ ચિંતા ઉપજાવે તેવી સ્થિતિમાં છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા વાર્ષિક પર્યાવરણ અહેવાલ ‘સ્ટેટ ઓફ એન્વાયર્નમેન્ટ-2021’ રજૂ કરવામાં આવ્યો છે.

દર વર્ષની માફક આ રિપોર્ટમાં દેશમાં ખેતી, પર્યાવરણ, જંગલો વગેરેની સ્થિતિ આવરી લેવાઈ છે.  રિપોર્ટ મુજબ 2019માં દેશમાં હવા પ્રદૂષણથી 16.67 લાખથી વધારે મૃત્યુ નોંધાયા હતા. સૌથી વધુ મોત થયા હોય એવા દસ રાજ્યોમાં ગુજરાતનો ક્રમ આઠમો છે. તો  ગુજરાતમાં વર્ષ દરમિયાન કુલ 87,811 લોકો હવા પ્રદૂષણને કારણે માર્યા ગયા હતા. રિપોર્ટ મુજબ દેશમાં 2019માં 10,200 ખેડૂતોએ જીવન ટૂંકાવ્યુ હતું. દેશમાં રોજ સરેરાશ 28થી વધારે ખેડૂતો આત્મહત્યા કરે છે, કેમ કે ખેતી પર તેમનો નિર્વાહ ચાલતો નથી. દેશના 60 પર્યાવરણ વિજ્ઞાાનીઓ દ્વારા તૈયાર થયેલા રિપોર્ટમાં મહત્ત્વનો સવાલ પણ કરવામાં આવ્યો છે કે શું ખેડૂતોની આવનારી પેઢીઓ ખેતી જ કરવાનું પસંદ કરશે?

 છેલ્લા એક દાયકામાં ભારતના જંગલોમાંથી 160 વિવિધ પ્રજાતિઓ નષ્ટ થઈ છે. એ સંખ્યા વધશે કેમ કે જંગલો કાપી વિકાસની નવી ફેશન ચાલી રહી છે. જંગલો કપાશે કે જંગલોમાં માનવીય દખલગીરી વધશે એમ ત્યાં રહેલા બીજા 99.99 ટકા વાઈરસો પૈકી કોઈ સક્રિય થઈ શકે છે. પર્યાવરણ સબંધિત ગુનાઓ પણ સતત વધી રહ્યા છે.જે ચિંતાનો વિષય છે.