‘તૌકતે’ સામે ગુજરાત અલર્ટ : વાવાઝોડા બાદ ભારે વરસાદની આગાહી

કોરોનાકાળ વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે. હવામાનની આગાહી અનુસાર આજથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. અરબી સમદ્રમાં થંડર સ્ટોર્મ તૈયાર થઇ રહ્યું છે અને ગુજરાતમાં દરિયાકાંઠે ૧૬મે એ ત્રાટકી શકે છે ત્યારે વાવાઝોડાનું નામ તૌકતે અપાયું છે. વાવાઝોડાની અસર ૧૬થી ૧૯ મે સુધી ગુજરાત પર રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે. ૧૮ અને ૧૯ મે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે દ્વારકા, જામનગર, ભાવનગરમાં અસર જોવા મળશે. રાજકોટ, કચ્છ અને માંડવિ સહિતના વિસ્તારોમાં અસર જોવા મળશે. હવામાન વિભાગ મુજબ ૧૬મીથી અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

રાજ્ય પર તૌકતે વાવાઝોડાનો ખતરો છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં અસર કરશે. જેને લઇ રાજકોટમાં માછીમારોને પરત ફરવા માટે આદેશ આપી દેવાયો છે. ૧૬ મે આસપાસ દરિયામાં અસર જોવા મળશે જેના કારણે ત્યારે કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા આદેશ અપાયો છે. સાથે જ રાજકોટમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

તૌકતે વાવાઝોડાને લઇ જામનગરમાં પણ એલર્ટ આપી દેવાયું છે તથા દરિયા કિનારા આસપાસના વિસ્તારના લોકોને અલર્ટ કરી દેવાયા છે. સોમવારે વાવાઝોડું દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના છે. જેને લઇ જામનગરમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. જેનો હેલ્પલાઇન નંબર ૧૦૧, ૯૦૯૯૧૧૨૧૦૧ શરૂ કરાયા છે. વાવાઝોડાને લઇ બેડી, નવા બંદર, સિક્કા અને રોજી બંદરે માછીમારોને સૂચના આપી દેવાઇ છે.

વાવાઝોડાને લઈને કચ્છમાં પણ તંત્ર અલર્ટ થઈ ગયું છે જેને લઈને કાંઠા વિસ્તારના ૧૨૩ ગામોને એલર્ટ કરવામાં આવ્યા.