વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમા ગ્લોબલ વોર્મિંગ ભુલાયુ……!

વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. પરંતુ એક પણ દેશે ગ્લોબલ વોર્મિંગ અંગે વાત જ ન કરી… કે જે પર્યાવરણ સાથે જોડાયેલું છે. તેના પરથી ખ્યાલ આવે છે કે વિશ્વના દેશો ગ્લોબલ વોર્મિંગ બાબતે કેટલાક ગંભીર છે….!? પર્યાવરણનું મહત્વ સવિશેષ છે. કે જેના કારણે ગ્લોબલ વોર્મિંગને અટકાવી શકાય, ઋતુચક્રના ફેરફારને અટકાવી શકાય, તાપમાન ઘટાડી શકાય,હવા સ્વચ્છ બને તે સાથે ઓક્સિજનનું પ્રમાણ વધે. તો સ્વચ્છ જળ પણ મળી રહે.

પરંતુ આ બાબતોની મોટી મોટી વાતો કરતા દેશો હવામાં કાર્બન ઘટાડો થાય તે માટેના જોઈતા જરૂરી પગલા લેતા નથી કે પછી ઘણાજ અધૂરા છે… અને તેની પાછળનું કારણ છે વિકાસ પાછળની આંધળી દોટ  સાથે જે તે દેશોની વિકાસ સ્પર્ધા. ઓક્સિજન આપતા વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢી નાખી સિમેન્ટ કોંક્રિટના જંગલો ઉભા કરવામાં આવ્યાં છે…. પરંતુ માનવ જીવન માટે ઓક્સિજન જરૂરી છે તે બાબત તરફ કોઈ દેશે ધ્યાન આપ્યું નથી કે કદાચ ધ્યાન આપતા નથી કે જ્યારે માનવીઓને કારણે વિશ્વભરમાં જે તે દેશોની સરકારો અસ્તિત્વ ધરાવે છે. વિશ્વમાં વિશ્વભરમાં જળ- વાયુ પ્રદુષણ એ હદે વધી ગયું છે કે ગ્લોબલ વોર્મિંગ નો ઉદભવ  થવા સાથે તે દિવસેને દિવસે વધવા સાથે વિશાળ કદનું બની ગયું છે. અને હવે તે પૃથ્વુ ઉપરની તમામ પ્રકારની કુદરતી વ્યવસ્થા અને સંપદાને અસર કરવા લાગ્યું છે.

દરેક દેશમા  હવા અને જળ પ્રદુષણ ઓકતા  તમામ પ્રકારના ઉદ્યોગોને આજે પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.પરંતુ આવા ઝેરી પ્રદૂષણ ઓકતા  ઉદ્યોગોનુ પ્રદૂષણ કન્ટ્રોલ કરવા પૂરતા પગલાં લેવામાં આવ્યાં નથી. જોકે હવે હવામાં કાર્બન છોડતો ઘટાડવા પેટ્રોલ-  ડીઝલનો ઉપયોગ ઘટે તે તરફ વિવિધ દેશો  કેટલીક રીતે પ્રયાસો કરી રહ્યા છે. તે સાથે સૌર ઉર્જાને મહત્વ આપી તેનો ઉપયોગ વિવિધ પ્રકારના વાહનો સહિતના ક્ષેત્રે કરવાની શરૂઆત કરી છે. પરંતુ ઓક્સિજન આપતા વૃક્ષોનુ નિકંદન ન નીકળી અને વધુ વૃક્ષોનું વાવેતર થાય અને વિશાળ વૃક્ષ બને તે માટેના  પ્રયત્નો જે પ્રમાણે થવા જોઈએ તે પ્રમાણે થતાં જ નથી…..અને કદાચ જે થાય છે તે નહીંવત છે….!

માનવજાતે જીવતા રહેવા અને પોતાની સલામતી માટે કુદરતી સંપદાનું જતન કરવું અતિ જરૂરી છે… કારણ કુદરતી સંપદા ઓક્સિજન સહિત માનવજીવનને જરૂરી અનેક પ્રકારના ફળો,ફુલો, અનાજ, કઠોળ સહિતની ચીજ-વસ્તુઓ પૂરી પાડે છે જેનો અનુભવ કોવિડ ૧૯ એ કરાવી દીધો  જેમા ઓક્સિજન લેવલ ઘટી જતા કે ઓક્સિજનના અભાવે અનેક લોકો મોતને ભેટયા છે.ત્યારે જો વૃક્ષો નહીં રહે તો ઓક્સિજન ક્યાંથી મળશે…..?લોકો તડપી તડપીને મોતને ભેટશે ત્યારે દરેક માનવી  જાગૃત બની એક એક વૃક્ષનુ વાવેતર કરી તે વિશાળ વૃક્ષ બને ત્યાં સુધી જતન કરવું જોઈએ…. અને તે અતિ જરૂરી છે. દેશભરમાં વિશ્વ પર્યાવરણ દિવસે ભારત ભરમા કરોડોની સંખ્યામાં વૃક્ષ રોપાઓનુ વાવેતર કરવામાં આવે છે અને વર્ષોથી આવું થઈ રહ્યું છે. પરંતુ વાવેતર કરેલ રોપાઓ પૈકી કેટલા વૃક્ષ બની ખીલી ઊઠયા તે કોઈ કહેશે….? જવાબ “ના” મળશે કારણ વૃક્ષારોપણ કરવાના દેખાડા કરવા- ફોટા પાડવાથી આપણે આગળ વધતા નથી… એટલે રોપાઓનું બાળમરણ થાય છે….!જે સ્વિકારવુ રહ્યું.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ દિવસે બહુ મોટી વાત પર્યાવરણ અને ક્લાઇમેંટ ચેંજ બાબતે કરી તે પૈકી વોટર કન્ઝર્વેશન, વનીકરણ, જળ સંરક્ષણ, રિસાયક્લિંગ ઓફ વોટર, રીયુઝ ઓફ ટ્રીટેડ વોટર સહિતની ઘણી વાતો કરી… પરંતુ હવા પ્રદૂષણ ઓકતા ઉદ્યોગો, કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડતા ઉદ્યોગો, પ્લાસ્ટિક ઉદ્યોગો કે જેનુ પ્રદૂષણ નદીઓ સુધી પહોંચી ગયું છે તો દરિયાને પણ છોડ્યો નથી… તે માટે કોઈ એક્શન પ્લાનની વાત કરી નહી….આજે પણ નદીઓમાં કેમિકલયુકત પાણી છોડવામાં આવે છે…. તો ઉદ્યોગો વાયુ પ્રદુષણ  છોડે છે. તેમાં પણ  નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ ગટરના ગંદા પાણી નદીઓમાં છોડે છે.તો ઓક્સિજન આપતા   વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢે છે…. આવી બાબતો રોકવા કોઈ એક્શન પ્લાન રજૂ ન કર્યો….ત્યારે આને શું કહીશું…..? અને હવે એક જ બાબત માનવજીવો માટે… સારી રીતે જીવવું છે તો દરેક વ્યક્તિ એક એક વૃક્ષ વાવે તેને ઉછેરે… તો જ સાચા અર્થમાં પર્યાવરણ દિવસ બની રહેશે….!