આગામી ૨૦મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠંડી ઘટશે અને તાપમાનમાં થશે વધારો

ગુજરાત રાજ્યમાં ધીમે-ધીમે ઠંડીનો ચમકારો ઘટી રહ્યો છે. રાજ્યમાં શિયાળાની વિદાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વસંતઋતુનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે ધીરે-ધીરે રાજ્યના તાપમાનનો પારો વધતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ટૂંક સમયમાં શિયાળો વિદાય લેશે તેવી શક્યતાઓ સર્જાઈ છે અને ગરમીનું આગમન થઈ જશે તેવી હવામાન વિભાગે જણાવ્યું છે.

હવામાન વિભાગે માહિતી આપી છે કે, આગામી ૨૦મી ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠંડી ધીમે-ધીમે ઘટતી જશે અને તાપમાનનો પારો ચઢશે. એ સિવાય વિભાગે આગાહી કરી છે કે ૧૫ અને ૧૬ ફેબ્રુઆરીએ વાતાવરણમાં પલટો આવી શકે છે. પૂર્વીય સમુદ્રી તટ વિસ્તારમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

વિભાગે કમૌસમી વરસાદની શક્યતા જણાવી છે. દેશના દક્ષિણીય પૂર્વ તટ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદ કે કરાં પણ પડી શકે છે. ઉપરાંત ૧૯ અને ૨૧ તારીખે ફરી ગુજરાતમાં વાતવરણમાં પલટો જોવા મળશે. તેમજ આગામી ૨૧ ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં તાપમાનમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળશે.