અમદાવાદ ગ્રામ્યના ખેડૂતોને ફતેહવાડી ખારીકટ કેનાલનું પાણી આપવામાં આવશે

અમદાવાદ ગ્રામ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. ફતેહવાડી ખારીકટ કેનાલનું પાણી છોડવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. પાણીના અભાવે ડાંગરની ખેતી પ્રભાવિત થઈ રહી હતી. ખેડૂતોએ આ મુદ્દે અમિત શાહને પણ રજૂઆત કરી હતી. ત્યારે રાજ્ય સરકારે પાણી છોડવાનો ર્નિણય લેતા સાણંદ, ધોળકા અને ધંધુકાના ખેડૂતોને ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાને બ્રેક વાગતા સિંચાઈની વ્યવસ્થા કરવા અગાઉ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ માયનોર કેનાલમાં પાણી છોડવા સૂચન કર્યું હતું. જેના લીધે જરૂરિયાત ધરાવતા ખેડૂતોએ સિંચાઈ માટે ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી હતી. રાજ્ય સરકારે સુજલામ્‌ સુફલામ્‌ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવાનું આયોજન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં વરસાદ ખેંચાતા મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કિસાનોના હિત માટે વધુ એક સંવેદનાપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા. ૭મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે એવો ર્નિણય લેવાયો હતો.