ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલું પાણી આજીમાં ઉપલબ્ધ છેઃ રાજકોટ મેયર

રાજકોટમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. હાલ જૂલાઈ શરૂ થવા છતાં વરસાદના એંધાણ ન વર્તાતા આજી અને ન્યારી ડેમની સપાટી ધીરે-ધીરે ઘટી રહી છે. અને હાલ માત્ર ૩૦ દિવસ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે જો સમયસર વરસાદ ન આવે તો શહેરમાં પણ પીવાના પાણીની મુશ્કેલી ઉભી થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાલ શહેરનાં મુખ્ય જળાશયોમાં ઓગષ્ટ મહિના સુધી ચાલે તેટલું પાણી છે. અને જરૂર પડ્યે સૌની યોજના હેઠળ ડેમો ભરી આપવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ શહેર માત્ર વરસાદ આધારિત હતું. પરંતુ પીએમ મોદી અને મુખ્યમંત્રી રૂપાણીનાં પ્રયાસોને કારણે સૌની યોજના શરૂ થયા બાદ પાણીની મુશ્કેલી ભૂતકાળ બની ચુકી છે. હાલ આજી ન્યારી અને ભાદર ડેમમાં તેની કુલ ક્ષમતાનાં ૫૦ ટકા પાણી છે. જેને કારણે ઓગષ્ટ મહિના સુધી પાણીની તંગી સર્જાય તેવી કોઈ શક્યતા નથી. તેમજ નર્મદાનું પાણી પણ મળતું હોવાથી પાણીકાપ મુકવો પડે તેવો સવાલ જ નથી. છેલ્લે એપ્રિલ મહિનામાં સૌની યોજના દ્વારા આજી અને ન્યારી ડેમ ભરાયા હતા. અને જરૂર પડ્યે ફરીથી આ ડેમો ભરવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે.