કમોસમી વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો

ડીસા પંથકના ખેડૂતો ચિંતિત

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ વાતાવરણમાં પલટો જોવા મલ્યો છે. આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઇ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કમોસમી માવઠું થશે તો બટાટા અને જીરાના પાકને નુકસાન થવાની શક્યતા છે. ડીસા પંથકમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઇ ગયું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે.

ખાસ કરીને ડીસા પંથકમાં આ વખતે બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. બીજી તરફ વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. ખાસ કરીને હજુ પણ ૫૦ લાખથી પણ વધુ બટાટાના કટટા ખેતરમાં પડ્યા છે. કમોસમી માવઠું થાય તો ખેતરોમાં પડેલા બટાકાને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

બીજી તરફ આ વર્ષે જીરાનું પણ મબલક ઉત્પાદન થયું છે. માર્કેટયાર્ડમાં જીરાની આવક વધી રહી છે, તેવામાં કમોસમી માવઠું થાય તો બટાટા અને જીરાનું વાવેતર કરતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. એક બાજું બટાટાના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા અને બીજી તરફ કુદરત પણ ખેડૂતોથી રૂઠી હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો ખેડૂતો કમોસમી વરસાદ ન પડે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૧૯ અને ૨૦ માર્ચના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે. આ સાથે કમોસમી વરસાદ પણ પડી શકે છે. થન્ડરસ્ટોર્મના કારણે પૂર્વ ગુજરાત અને દક્ષિણ પૂર્વ ગુજરાતમાંના કેટલાક વિસ્તરમાં ૪૦ કિલોમીટર ઝડપે પવન સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.