વાદળછાયા વાતાવરણ બાદ ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે

ગુજરાતના અમુક શહેરોમાં બે-ત્રણ દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણે ગરમીના અહેસાસને ઓછો કર્યો હતો. પરંતુ આગામી સમયમાં ચામડી શેકી નાંખે એવી ગરમી પડવાની હવામાન ખાતાએ સંભાવના વ્યક્ત કરી છે. સામાન્ય રીતે હોળી પછી રાજ્યભરમાં ગરમી વધવા લાગે છે. વિતેલા દિવસોમાં પણ રાજ્યના અમદાવાદ સહિત શહેરોમાં ગરમીનો અહેસાસ થયો હતો.

હવામાન ખાતાએ કરેલી આગાહી સંકેત આપી રહી છે કે, આશરે બેથી ત્રણ દિવસમાં ગુજરાતભરના તાપમાનમાં વધારો નોંધાશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ કરાવશે. હવામાન ખાતા મુજબ આગામી બે-ત્રણ દિવસમાં જ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી શકે છે.

અમદાવાદની વાત કરીએ તો હાલમાં અહીંનું તાપમાન ૩૮ ડિગ્રી પર પહોંચી ગયું છે અને હવે અહીં ગરમીનો પારો ઉંચકાશે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો અહેસાસ થવા પામ્યો છે.

બીજી તરફ ગરમીની સિઝન શરુ થતાં જ લોકોમાં ગરમીથી રાહત આપતા સાધનોની ખરીદી શરુ કરી દેવામાં આવી છે. એસી કુલર અને પંખાનું માર્કેટનો ગ્રાફ પણ તાપમાનના પારાની જેમ ઉપર જઇ રહ્યો છે. લોકોમાં ગરમી સામે રાહત મેળવવા માટે એસી, કૂલરની ખરીદીના ટ્રેન્ડને લઇને સ્થાનિક માર્કેટ અને ઓનલાઇન શોપિંગ માર્કેટમાં પણ સ્કિમો આપવામાં આવી રહી છે.