ભરૂચના ઝઘડિયાની વાયલાઈન વર્ક્સ કંપનીમાં લાગી ભીષણ આગ, જાનહાની ટળી

ઔદ્યોગિક નગરી ભરૂચમાં છાશવારે આગના બનાવો સામે આવતા હોય છે. ત્યારે, આજે ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. ઝઘડિયાના ખરચી ગામ નજીક આવેલ વાયલાઈન વર્ક્સ કંપનીમાં આજે ગુરૂવારે સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આથી, ધુમાડાના ગોટેગોટા નજરે પડતા દોડધામ મચી હતી. આ બનાવની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યો હતો.

ભરૂચમાં કાચની વસ્તુઓ બનાવતી કંપનીના વેર હાઉસમાં આગ લાગી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ થતા જ પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.