બનાસકાંઠામાં ખેડૂતના ઘર પર વીજળી પડી, તમામ વીજ ઉપકરણો બળીને ખાક થયા

આ સીઝનમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે વીજળી પડવાના સૌથી વધુ બનાવો બની રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડાના માળીવાસમાં મોડી રાત્રે એક ઘર ઉપર વીજળી પડી હતી. ઘર ઉપર વીજળી પડતાં ઘરમાં રહેલ વીજ ઉપકરણ બળીને ખાક થયા હતા. એટલુ જ નહિ, ઘરની દિવાલો ઉપર પણ સામાન્ય તિરાડો પડી છે.

દાંતીવાડાના માળીવાસમાં વરસાદી માહોલ વચ્ચે ખેડૂતના ઘર પર વીજળી પડી હતી. દાંતીવાડા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે માળીવાસના ખેડૂત શાંતિભાઈ માળીના ઘર ઉપર વીજળી પડી હતી. જેમાં વીજ ઉપકરણો બળીને ખાક થઈ ગયા છે. વીજળી પડતાની સાથે દોડધામ મચી ગઇ હતી. તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાને ઘટનાની જાણ થતાં તેઓએ તલાટીમંત્રી અને સર્કલ અધિકારીને રિપોર્ટ કરવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. ધાનેરા, દાંતીવાડા પંથકમાં સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ધાનેરાના બાપલા, વક્તાપુરા, આલવાડા, ગોળીયા, વાછોલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ધીમે ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.