કઠોર ગામમાં દુષિત પાણી પીવાથી ૬ લોકોના મોતથી હાહાકાર, ૬૦થી વધુ લોકો હોસ્પિટલાઇઝ

કામરેજ તાલુકાના કઠોર ગામે ઝાડા-ઉલ્ટીથી ૬ લોકોના મોતથી હાહાકાર મચ્યો છે. ૫ જેટલા વયસ્ક અને એક બાળકનો જીવ ગયો છે. પીવાનું અને ગટરનું પાણી મિક્સ થતા ઘટના બની હોવાની આશંકા  છે. એસએમસીના ડ્રેનેજ વિભાગ અને આરોગ્ય વિભાગની મોટી ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

કામરેજના કઠોર ગામે વિવેક નગર કોલોની જે આદિવાસી વિસ્તાર છે ત્યાં ગઈકાલથી ઝાડા તેમજ ઉલટીના ૬૦થી વધુ કેસો સામે આવ્યા છે. તમામ લોકોને કઠોર રેફરલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કુલ ૬ જેટલા લોકોના મોત થઇ ચુક્યા છે, જે પૈકી ૫ લોકો વયસ્ક છે અને એક બાળક નું મોત થયું છે.

ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો. પીવાના પાણીની લાઈન અને ગટરની લાઈન મિક્સ થતા ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે સ્થાનિકો દ્વારા વારંવાર ગટર સાફ સફાઈ મુદ્દે  એમસીમાં ફરિયાદ પણ કરવામા આવી હતી, પરંતુ જ્યારથી ગામનો એસએમસીમાં સમાવેશ થયો છે ત્યારથી ગામ જાણે અનાથ બની ગયું હોઈ એમ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

કઠોર ગામે બનેલી ગંભીર ઘટનાને લઇ એસએમસી દોડતું થયું હતું અને વહેલી સવારથી જ એસએમસીના ડ્રેનેજ વિભાગ તેમજ આરોગ્ય વિભાગની ટીમે કઠોર ગામે વિવેક નગર કોલોનીમાં ધામા નાખ્યા હતા. ગામની તમામ અંડર ગ્રાઉન્ડ ગટરો તેમજ પાણીની પાઈપ લાઈનમાં સાફસફાઈ હાથ ધરી હતી તો બીજી તરફ આરોગ્ય વિભાગ ધ્વારા તમામ ઘરોમાં ક્લોરીનની ટેબ્લેટ તેમજ ઓઆરએસ પાવડરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

એસએમસીની ટીમ ધ્વારા તમામ ઘરોમાંથી પાણી ના સેમ્પલ લઇ પાણીનું ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કોલોનીની તમામ પાણીની લાઈનો બંધ કરી ગામને ટેન્કર ધ્વારા પાણી પહોંચાડવાનું શરુ કરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે એસએમસીના ડેપ્યુટી કમિશ્નર પણ ઘટના સ્થળે પહોચ્યા હતા.