સુરતમાં ફાયર સેફ્ટીના અભાવે છેલ્લા ત્રણ દિવસમાં ૪૪ હોસ્પિટલ સીલ

સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોટિસ બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરતા ફાયર વિભાગે હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર સેફ્ટીના અભાવ ધરાવતી વધુ ૮ હોસ્પિટલ સીલ કરાતા હોસ્પિટલના સંચાલકો અને તબીબો દોડતાં થયા છે. દર્દીઓને હાલાકી નહીં પડે માટે ઇમરજન્સી વિભાગ શરૂ રખાયો છે પરંતુ વધુ નવા દર્દીઓને દાખલ નહીં કરવા સૂચના અપાઈ છે. જ્યાં દર્દીઓ દાખલ છે તે વોર્ડ ચાલુ રખાયા છે પરંતુ બીજા રૂમ, વોર્ડ સીલ કરી દેવાયા છે.

મહાનગરોમાં હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફટીના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. હાઈકોર્ટ સમક્ષ સુરત સહિત તમામ મહાનગરપાલિકાઓએ રિપોર્ટ રજૂ કરવાનો છે ત્યારે છેલ્લા છ મહિનામાં આ હોસ્પિટલોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી છતાં ફાયર સેફટીનો અભાવ હોવાથી મધરાતે પણ આ કાર્યવાહી ચાલુ રાખી હતી.

જે ૮ હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે તેમાં મોટા ભાગની હોસ્પિટલોમાં દર્દી દાખલ હતા. જેથી દર્દીઓના વોર્ડને બાદ કરતા ખાલી તમામ વોર્ડ, રિસેપ્શન, તબીબોની ચેમ્બર સહિત ઓફિસો સીલ કરી દીધી હતી. છેલ્લા એક મહિનામાં ફાયર વિભાગે ૪૦ હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરી હતી અને ખામી જણાતા નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત ફાયર વિભાગે કોર્મિશિયલ કોમ્પ્લેક્ષોને સીલ કરવાની પણ કાર્યવાહી કરી હતી.