પર્યાવરણ બચાવ અભિયાનમાં ઓઢવમાં ૧૦,૦૦૦ વૃક્ષો વવાશે

મ્યુનિ. રિક્રીએશન કમિટી ચેરમેન રાજુભાઇ દવેએ વૃક્ષારોપણ અભિયાનની વિગતો આપતાં કહ્યું કે, શહેરનાં તમામ વિસ્તારોમાં ગ્રીન કવર વધે તેના માટે દરેક રોડ, ફૂટપાથ, બગીચા, ખાનગી સોસાયટીઓ સહિત અનેક જગ્યાએ વૃક્ષો ઉછેરવામાં આવે તે માનવજીવન માટે હિતકારક છે. મ્યુનિ. દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન આદરવામાં આવ્યુ છે તેને યુધ્ધનાં ધોરણે અમલમાં મુકવામાં આવી રહયુ છે અને તેમાં જેટલાં વૃક્ષો વાવવામાં આવ્યા છે તે પૈકી ૬૫-૭૦ ટકા વૃક્ષો ટકી ગયાં છે એટલે કે શહેરમાં વૃક્ષનો સર્વાઇવલ રેટ ઘણો સારો કહી શકાય તેમ છે.

શહેરમાં વાયુ પ્રદુષણને ડામવા અનેકવિધ પગલા લેવાઇ રહ્યાં છે તેમાં સૌથી સરળ અને સીધી અસર કરતાં વૃક્ષારોપણ અભિયાનને મ્યુનિ.સત્તાધીશોએ પૂરજોશથી હાથ ધર્યુ છે. મિશન મિલિયન ટ્રીઝ ઝુંબેશ અંતર્ગત અત્યારસુધીમાં ૧૨ લાખથી વધુ વૃક્ષારોપણ થઇ ચૂક્યુ છે અને આગામી ૨૮મીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલનાં હસ્તે ઓઢવ અંબિકાનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૧૦ હજાર વૃક્ષો વાવવામાં આવશે.